નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
“આજે તો બધે ઊંચા જીવન ધોરણની બૂમો પડી રહી છે. વાડીવજીફો, મોટર બંગલો, ફ્રીજ, ટીવી વગેરેને ઊંચું જીવન કહે છે. જુના વખતમાં પ્રામાણિક, પવિત્ર, સદાચારી જીવન ઊંચું જીવન ગણાતું. જેની જરૂરિયાત ઓછી તે ઊંચો ગણાતો પણ આજે તો ઊંચા જીવનની વ્યાખ્યા અવળી થઈ ગઈ છે. પરંતુ આ ઊંચું જીવન કે પછી અદ્યોગતિનું જીવન? ઊંચા જીવન વિશેના આપણા અને પશ્ચિમના ખ્યાલમાં જમીન આસમાનનું અંતર છે. પહેલાં ગામમાં ડોશીઓ કહેતી કે ‘હૈયું ન બાળજો, હાથ બાળજો’ પણ આજે તો હૈયું બાળવાની વાત આવી ગઈ છે. હાથને સુંવાળા બનાવે છે, ઉપર મેંદી મૂકે છે. પહેલાં સવારે ઉઠતાં વેત હાથના દર્શન કરતાં. ‘તારા પ્રતાપે દહાડો કાઢીશ’ એવી ભાવના રહેતી. ઈશ્વરે બે હાથ આપ્યા છે એટલે તો છાતી કાઢીને ચાલી શકીએ છીંએ, નહિં તો ગાય, ભેંસ, બળદની જેમ વાંકા વળીને ચાલવું પડત. ભગવાને માણસને એક મોટું અને બે હાથ આપ્યા છે. પણ આજે તો મોઢાં વધતાં જાય છે અને હાથ ઘટતા જાય છે. બહુ થાય તો હાથનો ઉપયોગ ઝૂટ મારીને બીજાનું પડાવી લેવામાં થાય છે. હાથનો સાચો ઉપયોગ થતો હોય તો કોઈ દિવસ તંગી ન વરતાય.” -રવિશંકર મહારાજ
Answer